1.7.08


વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો

ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો

આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો

થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો

આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો

1 comments:

ડૉ. મહેશ રાવલ said...

ડો.જગદીશભાઈ !
પ્રથમ વખત જ મળીએ છીએ આપણે.....
પ્રસ્તુત ગઝલ મને ખૂબ જ ગમી....-જે શબ્દચિત્ર વણાયું છે એમાં,ક્ઠણકાળજાને પણ
કૂણું કરી પાપણથી પ્રવાહિત કરી શકે એવું લાગણીતત્વ વણાયેલું મેં અનુભવ્યું......
સર !
લયસ્તરો પર જે ગઝલ વાંચીને દિવસ સુધરી ગયો,એ -ડો.મહેશ રાવલ ના નમસ્કાર..!