6.4.10

એક સમયે
કોઈ ખાસ કામે હું
ઘટનાના શહેરમાં
જઈ ચડ્યો...
અંધાધૂંધી માર્ગ પર થઈ
તંગદિલી સોસાયટી પાસેથી
આંતક મોલ ગયો,
ત્યાંથી ડુંસકા નગરથી સીધો
તિરસ્કાર ચોક પસાર કરી
ભય ગલીની સામે વળી
દંગા સ્ટેશન પહોંચ્યો.....
અને પુછ્યું કે
’ઉકેલ’ ઉદ્યાન ક્યાં આવ્યું..?
લગભગ કોઈ પાસે
જવાબ નહોતો...
એક અતિ બુઝર્ગે
ધ્રુજતા હાથે આંગળી ચીંધી દૂર
એક ઉદ્યાન બતાવ્યું......
વેરાન, નિસ્તેજ,
ઉજ્જડ, સુકું ભઠ્ઠ,
અવાવરૂં, અને નધણિયાતા ઉદ્યાનમાં
આવેલી ગાંધી બાપુની
ધૂળ ખાતી મુર્તિ પાસે ઉભી
મેં પુછ્યું..
એ ન બોલ્યા...
મેં હાથ હલવ્યા...
તેણે ન જોયું...
મેં બુમો પાડી...
એણે ન સાંભળી...
અંતે હારી થાકીને
પાછો વળ્યો ત્યારે
ત્રણ વાંદરાં
મારી સામે
ચાળા કરી,
કિકિયારી પાડી,
ખડખડાટ હસતાં હતાં.....
ઘટનાનાં શહેરમાં....!!!

No comments: